[પાછળ]
 દાદીની પ્રસાદી-૨ 

જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે.

આ પ્રસાદીને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. અત્રે બીજો ભાગ રજૂ કરાયો છે. બીજા વિભાગમાં ‘ન’ થી ’જ્ઞ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી અપાઈ છે. જ્યારે પ્રથમ ભાગમાં પ્રાર્થનાઓ તથા ‘અ’ થી ‘અઃ’ સુધી અને ‘ક’ થી ‘ધ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી છે. પ્રથમ વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ

પ્રસાદી વિભાગ પહેલો


 છેલ્લો ફેરફાર: તા. ૪ એપ્રિલ, ૨૦૧૦ 

  1. न अभिषेको न संस्कार: सिंहस्य क्रियते वने।
    विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मॄगेंद्रता॥


  2. [વનમાં સિંહનો કોઈ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરતું નથી. સિંહ સ્વપરાક્રમ વડે જ પોતાને મૃગેન્દ્ર તરીકે પૂરવાર કરે છે.]


  3. न कश्चित् कस्यचित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः।
    कारणेनैव जायन्ते मित्राणि रिपवोऽपि वा॥


  4. [અમસ્તા અમસ્તા કોઈ કોઈના મિત્ર કે શત્રુ થઈ જતાં નથી. જ્યારે કોઈ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ મિત્ર કે શત્રુનો ઉદ્‌ભવ થાય છે.]


  5. न कालस्य प्रियः कश्चिन्न द्वेष्योऽपि कपीश्वर।
    कालः कालयते सर्वान्सर्वः कालेन बध्यते॥


  6. [કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે.]


  7. न च विद्यासमो बन्धुः न च व्याधिसमो रिपुः।
    न चापत्यसमो स्नेहः न च धर्मो दयापरः॥


  8. [વિદ્યા સમાન કોઈ બંધુ નથી. ચિંતા જેવો કોઈ દુશ્મન નથી. સંતાનપ્રેમ સમો કોઈ સ્નેહ નથી. દયાથી ઊંચો કોઈ ધર્મ નથી.]


  9. न चोरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारी।
    व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम्॥


  10. [બધા પ્રકારના ધનમાં વિદ્યારૂપી ધન સૌથી ચડે કેમકે ચોર તેની ચોરી કરી શકતા નથી, રાજા તે છીનવી શકતો નથી, ભાઈઓ તેમાંથી પોતાનો ભાઈભાગ પડાવી શકતા નથી, તે બોજરૂપ બનતું નથી, તે વાપરવાથી તે વધે છે અને તેનો કદી નાશ થતો નથી.]


  11. न जातु काम: कामानामुपभोगेन शाम्यति।
    हविषा कॄष्ण्मत्र्मेव भुय एवाभिवर्धते॥


  12. [આપણી ઇચ્છાને આપણે ગમે તેટલી વખત સંતોષીએ પણ તેથી ઇચ્છા શાંત પડી જતી થતી નથી. યજ્ઞની અંદર આહુતિ હોમવાથી અગ્નિનુ જોર વધે છે, ઘટતું નથી.]


  13. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः।
    अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥


  14. [ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો બોધઃ આ આત્મા કોઈ પણ કાળમાં ન જન્મ લે છે ન મરણ પામે છે. ન તો તેનો ઉદ્‌ભવ કે ફરી ઉદ્‌ભવ થાય છે. તે નિત્ય છે શાશ્વત છે પુરાતન છે. દેહ હણાઈ જાય છે. આત્મા હણાતો નથી. ]


  15. न तु अहं कामये राज्यं न स्वर्गं न पुनर्भवम्।
    कामये दु:खतप्तानां प्राणिनाम् आर्तिनाशनम्॥


  16. [ભાગવત પુરાણમાં રાજા રન્તિદેવ આ શ્લોક કહે છે અને મહાભારતના દ્રોણપર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. નથી ઇચ્છા મને રાજ્યની, નથી સ્વર્ગની કે નથી નવો જન્મ ધારણ કરવાની. મારી ઇચ્છા આ જગતના પ્રત્યેક દુઃખી-પીડિત પ્રાણીના દુખદર્દ દૂર કરવાની છે.]


  17. न देवा दण्डमादाय रक्षन्ति पशुपालवत्।
    यं तु रक्षितुमिच्छन्ति बुद्ध्या संविभजन्ति तम्॥


  18. [ભરવાડને ઢોરનું રક્ષણ કરવું હોય તો તે હાથમાં લાકડી લઈ ઢોરને બચાવતા હોય છે. ભગવાન તમને ઢોરની કક્ષામાં મૂકતો નથી. એટલે જ્યારે તેને તમારું રક્ષણ કરવું હોય ત્યારે તે હાથમાં લાકડી લઈ બચાવવા આવતો નથી. એ તમને સદ્‌બુદ્ધિ આપે છે.]


  19. न धैर्येण विना लक्ष्मीर्न शौर्येण विना जयः।
    न ज्ञानेन विना मोक्षो न दानेन विना यशः॥


  20. [ધીરજ ધર્યા વિના લક્ષ્મી ન મળે. શૂરવીરતા દાખવ્યા વિના જીત ન મળે. જ્ઞાન વિના મોક્ષ ન મળે. દાન કર્યા વિના જશ ન મળે.]


  21. न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरङ्गो न कदापि दृष्टः।
    तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः॥


  22. [સોનાના હરણની વાત ન તો કદી કોઈએ સાંભળી હતી ન તો સોનાનું હરણ કોઈએ સગી આંખે જોયું હતું છતાં ભગવાન રામ જેવા પણ એ કાલ્પનિક હરણ પાછળ દોડ્યા. ખરેખર જ્યારે દુઃખના દહાડા આવવાના હોય ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે.]


  23. न भूतो न भविष्यति।


  24. [અશક્ય વસ્તુ જે કદી થઈ નથી અને થશે નહિ.]


  25. न राज्यम् न च राजाः असीत् न दण्डयो न च दाण्डिकः ।
    धर्मेणैव प्रजाः सर्वा रक्षन्ति स्मः परस्परम् ॥


  26. [કાર્લ માર્કસે સામ્યવાદના સિદ્ધાંતો ઘડતી વખતે સામ્યવાદમાં છેવટના તબક્કે રાજ્યની તમામ સત્તા વિલીન થઈ જશે એવી જે કલ્પના ઘડી તેના પ્રેરણાદાતા હતા રશિયાના પ્રિન્સ ક્રોપોટકીનના રાજ્યવિહીન સમાજરચનાના મૂળભૂત વિચારો. પણ પ્રિન્સ ક્રોપોટકીન કહે તે પહેલા સંસ્કૃત સાહિત્યમાં અનેક સદીઓ અગાઉ એ જ વાત વર્ણવાઈ ચૂકી છે. મહાભારતના શાંતિ પર્વના આ શ્લોકમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહે છે કે ન કોઈ રાજ્ય હોવું જોઈએ કે ન કોઈ રાજા. ન કોઈ દંડ કે સજા કરનાર હોવું જોઈએ કે ન કોઈ દંડ કે સજા ભોગવનાર. ધર્મ (એટલે કે પોતાના કર્તવ્યના પાલન) વડે સર્વ પ્રજાએ એક બીજાનું રક્ષણ કરવું ઘટે છે.]


  27. न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति।


  28. [ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ કલ્યાણકારી કામ કરનારની કોઈ દિવસ અવદશા થતી નથી.]


  29. न हि कश्चिद् आचारः सर्वहितः संप्रवर्तते।


  30. [જગતમાં એવો કોઈ સમાજ નિયમ હજુ સુધી ઘડાયો નથી કે જેનાથી બધાને એક સરખો ફાયદો થાય.]


  31. न हि कस्य प्रियः को वा विप्रियो वा जगत् त्रये।
    काले कार्यवाशात् सर्वे भवन्त्य् एवाप्रियाः प्रियाः॥


  32. [ત્રણે જગતમાં કોઈ કોઈનું વહાલું નથી કે નથી કોઈ કોઈનું દવલું. સમય અને સંયોગો અનુસાર સર્વે એક બીજાને ગમતા કે અણગમતા થાય છે.]


  33. न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते।
    तत्स्वयं योगसंसिद्धिः कालेनात्मनि विन्दति॥


  34. [આ સંસારમાં જ્ઞાન જેટલી પવિત્ર ચીજ બીજી કોઈ નથી. કર્મયોગ વડે સંસિદ્ધિ મેળવ્યા પછી સમયના વીતવા સાથે તે આત્મામાં સ્વયં પ્રગટ થાય છે.]


  35. नमन्ति फलिनो वॄक्षा नमन्ति गुणिनो जना:।
    शुष्ककाष्ठश्च मूर्खश्च न नमन्ति कदाचन॥


  36. [ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. ગુણો પ્રાપ્ત થતાં માણસો બીજાને નમન કરતાં થાય છે. માત્ર સૂકા લાકડાં અને મૂર્ખ માણસો જ બીજાને નમન કરતાં નથી.]


  37. नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके।
    जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन॥
    इति महति विरोधे विद्यमाने समाने।
    नॄपतिजनपदानां दुर्लभ: कार्यकर्ता॥


  38. [રાજાનુ હિત કરનારાએ સામાન્ય પ્રજાનો રોષ વહેરી લેવો પડે છે. સામાન્ય પ્રજાનું હિત કરવા જનારને રાજા રજા આપી દે છે. આમ બન્ને પ્રકારના વિરોધનો સામનો કરીને રાજા તથા પ્રજા બન્નેનું હિત કરી શકે તેવા અમલદાર મળવા દુર્લભ છે.]


  39. नरस्य आभरणं रूपं रूपस्य आभरणं गुण:।
    गुणस्य आभरणं ज्ञानं ज्ञानस्य आभरणं क्षमा॥


  40. [માનવનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.]


  41. नरो वा कुंजरो वा।


  42. [સત્યવક્તા યુધિષ્ઠિર દ્વારા બોલાયેલું પહેલું અને છેલ્લું અર્ધસત્ય. કોણ મરાયું એવા દ્રોણાચાર્યના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છેઃ અશ્વસ્થામા મરાયો. કદાચ માનવી કદાચ હાથી. આના પરથી કોઈ પણ અસ્પષ્ટ વાત નરો વા કુંજરો વા તરીકે ઓળખાય છે.]


  43. नाक्षरं मंत्ररहीतं नमूलंनौषधिम्।
    अयोग्य पुरूषं नास्ति योजकस्तत्रदुर्लभ:॥


  44. [એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.]


  45. नास्ति भार्यासमं किज्चिन्नरस्यार्तस्य भेषजम्॥


  46. [દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી !]


  47. नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तप:।
    नास्ति राग समं दु:खम् नास्ति त्याग समं सुखम्॥


  48. [જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.]


  49. नायमात्मा प्रवचनेन लभ्यो
    न मेधया न बहुना श्रुतेन।
    यमेवैष वृणुते तेन लभ्यः
    तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ॥


  50. [કઠોપનિષદનો પાંચમો શ્લોકઃ આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે ? પ્રવચનો સાંભળવાથી ? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી ? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી. આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.]


  51. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
    लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम्।
    अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
    न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥


  52. [નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.]


  53. निर्धनस्य कुतः सुखम्।


  54. [નિર્ધન માણસને સુખ ક્યાંથી હોય.]


  55. निर्विषेणापि सर्पेण कर्तव्या महति फणा।
    विषमस्तु न चाप्यस्तु फटाटोपो भयंकर:॥


  56. [પંચતંત્રનો આ બોધ છેઃ બિનઝેરી સાપે પણ સ્વરક્ષણ માટે મોટી ફેણ ફેલાવી રાખવી જોઈએ. સાપ ઝેરી હોય કે બિનઝેરી પણ ફેણનો ડર લોકોને લાગતો જ હોય છે.]


  57. नेति नेति।


  58. [આપણી ઉપનિષદોનો મત એવો છે કે ઈશ્વર શું છે, કેવો છે એ જાણવું લગભગ અશક્ય છે કેમકે માનવબુદ્ધિ, સમજણશક્તિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. તેના બદલે ઈશ્વર શું નથી એ પ્રમાણમાં સરળતાથી કહી શકાય એટલે ‘આ નહિ, આ નહિ’ એવા નકારાત્મક વચનો વડે તેના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ.]


  59. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
    न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥


  60. [શ્રીમદ્ ભગવદ્ ગીતોનો ખૂબ લોકપ્રિય શ્લોકઃ આત્માને શસ્ત્ર કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.]


    પ-ફ

  61. परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः।
    परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदम् शरीरम्॥


  62. [પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. પરોપકાર માટે નદી પાણી વહાવે છે. પરોપકાર માટે ગાય દૂધ આપે છે. આપણું શરીર પરોપકાર માટે જ બનેલું છે.]


  63. परोपदेशवेलायां शिष्टा: सर्वे भवन्ति वै।
    विस्मरन्तीह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते॥


  64. [અન્યને ઉપદેશ આપતી વખતે નિયમપાલનની વાતો બધા કરે છે પણ એ નિયમપાલનની વાત જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યાં હવામાં ઊડી જાય છે.]


  65. परोपदेशे पांडित्यं सर्वेषां सुकरं नॄणाम्।
    धर्मे स्वीयमनुष्ठानं कस्यचित् सुमहात्मन:॥


  66. [બીજાને ઉપદેશ દેવા માટે પોતાના ડહાપણનો ભંડાર ખોલવો એ બહુ સહેલી વાત છે. પરંતુ તે ઉપદેશ પર જાતે આચરણ કરી બતાવવું એ તો કોઈ મહાત્મા જ કરી શકે.]


  67. परोऽपि हितवान् बन्धुः बन्धुरपि अहितः परः।
    अहितो देहजो व्याधिः हितम् आरण्यमौषधम्॥


  68. [હિતોપદેશનો શ્લોક છે. પારકો માણસ આપણું હિત કરે તો તેને સગા ભાઈ જેવો ગણવો. સગો ભાઈ આપણું અહિત કરે તો પારકા જેવો ગણવો. આપણા દેહમાં રહેતો રોગ આપણો હોવા છતાં અહિત કરે છે. દૂર જંગલમાં રહેતું ઔષધ આપણું હિત કરે છે.]


  69. पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या
    नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम्।
    आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः
    सेयं याति शकुंतला पतिगृहं सर्वैरनुज्ञायताम्॥


  70. (અભિજ્ઞાન શાકુંતલમ્ - અંક ચોથો)
    
    [કદી ન ચાખ્યું જળનું ટીપું
    પૂર્ણ તૃપ્ત કર્યા વિના તમને
    ગમતું  છતાં  ન ચૂંટતી કદી
    પર્ણ  તમારું કોમળ  શાખેથી
    ડાળે એક  નવું ફૂલ બેસે તો
    ઉત્સવ સમ  હર્ષ  જેના  હૈયૈ
    એ શકુંતલાને આપો અનુજ્ઞા
    હે વૃક્ષો સૌ પતિગૃહે જવાની]
    

  71. पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।
    जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥


  72. [દરેક માણસ પોતાની રીતે વિચારે છે. દરેક કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય છે. દરેક જાતના લોકના રિવાજ જુદા હોય છે. દરેક માનવીના મોઢામાંથી અવનવી વાણી સાંભળવા મળે છે.]


  73. पिबन्ति नद्य: स्वयम् एव न अम्भ:।
    स्वयं न खादन्ति फलानि वॄक्षा:॥
    न अदन्ति सस्यं खलु वारिवाहा।
    परोपकाराय सतां विभूतय:॥


  74. [નદી પોતાનું પાણી પીતી નથી. વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. ખેતરમાં થયેલા પાકના ઢગલા અનાજ ખાઈ જતા નથી. સંત માણસોની સિદ્ધિ-સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.]


  75. पुरा कवीनां गणना प्रसङ्गे कनिष्ठिकाधितिष्ठित कालिदासः।
    अद्यापि तत्तुल्य कवेराभावात् अनामिका सार्थवती बभूव॥


  76. [અગાઉ જ્યારે કવિ કેટલા તેની ગણતરી થતી ત્યારે સૌ પહેલું કાલિદાસનું નામ સૌથી નાની આગળી પર લેવાતું હતું પણ પછી બીજી આંગળી આગળ ગણતરી અટકી જતી હતી. હજુ સુધી કોઈ કવિ કાલિદાસની કક્ષાનો ન જણાયો નથી તેથી એ આંગળીનું ‘અનામિકા’ નામ સાર્થક બની ગયું છે.]


  77. पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्।
    सन्त: परीक्ष्यान्यतरद्भजन्ते मूढ: परप्रत्ययनेयबुद्धि:॥


  78. [કાલિદાસ કૃત માલવિકાગ્નિમિત્રમ્‌નો આ શ્લોક છે. જે જુનું છે તે બધું સારું જ છે એવું માની ન લેવાય. કવિતા નવી હોય એટલે સારી જ હોય તેવું નથી. ડાહ્યા માણસો બરાબર ચકાસણી કર્યા પછી જ નિર્ણય પર આવે છે પણ મૂઢ માણસો બીજાની બુદ્ધિથી દોરવાય છે.]


  79. पुस्तकस्था तु या विद्या परहस्तगतं धनं।
    कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम्॥


  80. [ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું આપણું ધન જ્યારે ખરી જરૂર પડે ત્યારે કંઈ કામમાં ન આવે એટલે તે હોય કે ન હોય બન્ને સરખું જ છે.]


  81. पॄथ्वीव्यां त्रीणि रत्नानि जलम् अन्नम् सुभाषितम्।
    मूढै: पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते॥


  82. [પૃથ્વી પર ત્રણ રત્ન છેઃ જળ, અન્ન અને સુભાષિત. પણ મૂઢ માણસો પથ્થરના ટૂકડાંને રત્નનું નામ આપે છે.]


  83. प्रथमग्रासे मक्षिकापातः।


  84. [પહેલા કોળીયે જ માખી આવી !]


  85. प्रथमवयसि पीतं तोयमल्पम् स्मरन्त: शिरसि
    निहीतभारा: नारीकेला नराणाम् ददति।
    जलमनल्पात स्वादमाजिवीतान्तम्
    नही कॄतमुपकारं साधवो विस्मरन्ति॥


  86. [નાળિયેરનું ઝાડ પોતાને અગાઉ પીવા મળેલું થોડું પાણી યાદ રાખે છે અને તેને સ્વાદિષ્ટ બનાવી શિર પર ધારણ કરે છે. સજ્જન માણસો પોતા પર કોઈએ કરેલો ઉપકાર કદી ભૂલી જતાં નથી.]


  87. प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं।
    तॄतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यति॥


  88. [જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં ભણ્યા નહિ. ગૃહસ્થાશ્રમના સમયમાં કમાયા નહિ, વાનપ્રસ્થાશ્રમના સમયે સમાજસેવા ન કરી તો ચોથા સંન્યસ્તાશ્રમમાં કઈ વસ્તુનો ત્યાગ કરશો ?]


  89. प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः
    प्रारभ्य विघ्न विहता विरमन्ति मध्याः।
    विघ्नैः पुनः पुनर् अपि प्रतिहन्यमानाः
    प्रारब्धम् उत्तम जना न परित्यजन्ति॥


  90. [આ કામ કરવામાં મુશ્કેલી આવશે એવા ડરથી તુચ્છ માણસો કામ શરૂ જ કરતા નથી. મધ્યમ કક્ષાના માણસો કામ તો શરૂ કરે છે પણ મુશ્કેલી આવે તો અધવચ્ચેથી છોડી દે છે. ઉત્તમ માણસો કામ શરૂ કરે છે અને જેટલી વાર મુશ્કેલી આવે તેટલી વાર તેનો મુકાબલો કરતા રહી તેને પૂરું કર્યા પછી જ છોડે છે.]


  91. प्रियवाक्य प्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः।
    तस्मात् तदेव वक्तव्यं वचने का दरिद्रता॥


  92. [દરેક જીવને મીઠી વાણી વડે સંતોષ આપી શકાય છે માટે જીભ મીઠી રાખવી. મીઠા શબ્દો વાપરવામાં ગરીબાઈ શા માટે બતાવવી ?]


  93. बहुजनहिताय बहुजनसुखाय।


  94. [આ લોકશાહી આદર્શ આપણે ત્યાં સદીઓથી પ્રચલિત છે. જે કામ વધુમાં વધુ માણસોના હિતમાં હોય અને વધુમાં વધુ માણસોને સુખ આપી શકે તે કામ ઉત્તમ કાર્ય કહેવાય.]


  95. बहुरत्ना वसुन्धरा।


  96. [ આ ધરતીમાં અનેક રત્નો પડ્યાં છે.]


  97. बुद्धिर्यस्य बलं तस्य।


  98. [જેની બુદ્ધિ તેનું બળ]


  99. भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते।
    सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृञ् करणे॥


  100. [શંકરાચાર્યનો આ બોધ છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, હે મૂઢ માણસ, અંતિમકાળે તેના સિવાય અન્ય કોઈ તારું રક્ષણ નહિ કરી શકે.]


  101. भो दारिद्र्य नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः।
    पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन॥


  102. [હે દારિદ્ર, તારો પરચો બહુ ભારી છે. તારા પ્રતાપે હું સિદ્ધ પુરુષ બની ગયો છું. હું આખા જગતને જોઈ શકું છું પણ આખા જગતમાં કોઈને હું દેખાતો નથી. આ કેવો ચમત્કાર છે ! (બધા મોઢુ ફેરવીને ચાલ્યા જાય છે !)]


  103. भोगाः न भुक्ता वयमेव भुक्ता:।
    तृष्णा न जीर्णा वयमेव जीर्णा:॥


  104. [ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા કદી વૃદ્ધ થતી નથી, આપણે જ વૃદ્ધ થઈ જઈએ છીએ.]


  105. भ्रमन् वनान्ते नवमंजरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्।
    सा किं न रम्या स च किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा॥


  106. [વનમાં ફરી ફરીને નવા તાજા પુષ્પ પર બેસતો ભ્રમર ગંધફલી (વનચંપો?)ને સુંઘતો પણ નથી. શું તે સુંદર નથી ? શું ભ્રમર પુષ્પની શોધમાં નથી ? ખરેખર, ઈશ્વરની ઇચ્છા જ બળવાન છે.]


  107. मधुरेण समापयेत्‌।


  108. [કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ મીઠાશથી કરવી જોઈએ.]


  109. मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः‌।
    बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम्॥


  110. [મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.]


  111. मनसा चिन्तितंकर्मं वचसा न प्रकाशयेत्‌।
    अन्यलक्षितकार्यस्य यत: सिद्धिर्न जायते॥


  112. [ભારતના સૌથી વધુ સફળ રાજનીતિજ્ઞ ચાણક્યની આ સોનેરી સલાહ ભારત કરતાં અન્ય દેશોના રાજનીતિજ્ઞ વધુ સારી રીતે પાળે છે ! ચાણક્ય કહે છે કે આપણે શું કરવાના છીએ, આપણી યોજના શું છે તે વિશે બોલ બોલ ન કરાય. જો કોઈ હરીફને આપણી યોજનાની ખબર પડી જાય તો તે થોડો આપણને સફળ થવા દે ?]


  113. मन्त्रे तीर्थे द्विजे देवे दैवज्ञे भेषजे गुरौ।
    यादृशी भावना यस्य सिद्धिर् भवति तादृशी॥


  114. [ઘણી વસ્તુ એવી હોય છે જેમાં આપણી જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે. મંત્રનો જાપ કરવામાં, તીર્થમાં જઈ દર્શન કરવામાં, બ્રાહ્મણ પાસે ક્રિયાકર્મ કરાવવામાં, જોશી પાસે જોશ જોવડાવવામાં, ઔષધનું સેવન કરવામાં, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં આપણી ભાવના જેટલી વધુ સારી એટલો વધુ લાભ થાય. આપણને શ્રદ્ધા ન હોય તો કોઈ ફાયદો ન થાય.]


  115. मर्कटस्य सुरापानं तस्य वृश्चिकदंशनम्।
    तन्मध्ये भूतसंचारो यद्वा तद्वा भविष्यति॥


  116. [એક તો જાતનું વાંદરું, એમાં દારુ પીધો, પાછો એને વીંછી કરડ્યો અને તે ઉપરથી એને ભૂતના ભડકા પણ દેખાણા. પછી તેના તોફાનમાં બાકી શું રહે ?]


  117. महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः।
    पद्मपत्रस्थितम् तोयम् धत्ते मुक्ताफलश्रियम्॥


  118. [ઉત્તમ માણસોના સંસર્ગમાં આવવાથી કોની ઉન્નતિ થતી નથી. કમળના પુષ્પ પર રહેલું પાણીનું સાધારણ ટીપું પણ સાચા મોતીની જેમ દીપી ઊઠે છે.]


  119. मा दद्यात् खलसङ्घेषु कल्पनामधुरागिरः।
    यथा वानरहस्तेषु कोमलाः कुसुमस्रजः॥


  120. [દુષ્ટ માણસને સૌજન્યપૂર્ણ વાણી વડે સમજાવવાનો કોઈ અર્થ નથી. વાંદરાના હાથમાં સુકોમળ પુષ્પનો ગુચ્છ મૂકીએ તો તેથી તેના વર્તનમાં કોઈ ફરક પડે ?]


  121. मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
    यत्क्रौञ्चमिथुनादेकम् अवधीः काममोहितम्॥


  122. [વાલ્મિકી રામાયણનો પ્રથમ શ્લોક. કામમોહિત થયેલા ક્રોંચ પક્ષીની જોડીને ખંડિત કરનારા ઓ શિકારી શાશ્વત સમય સુધી તને અપયશ મળશે. એવું મનાય છે કે ક્રોંચવધ થતો જોઈ તે સમયે તપ કરી રહેલા વાલ્મિકી ઋષિમાં કવિત્વ જાગ્યું અને તેમાંથી રામાયણ મહાકાવ્ય રચાયું.]


  123. माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः।
    सभामध्ये न शोभते हंसमध्ये बको यथा॥


  124. [જે માબાપ પોતાના સંતાનને ભણાવે નહિ તે તેના દુશ્મન છે. જેમ હંસની વચ્ચે બગલું ન શોભે તેમ આવું અભણ સંતાન સમાજમાં શોભતું નથી.]


  125. मुखं प्रसन्नं विमला च दृष्टिः
    कथानुरागो मधुरा च वाणी।
    स्नेहोऽधिकः सम्भ्रम दर्शनं च
    सदानुरक्तस्य जनस्य चिह्नम्॥


  126. [મુખ પર પ્રસન્નતા લહેરાતી હોય, દ્રષ્ટિમાં વિમળતા હોય, પ્રિયપાત્ર વિશેની વાત સાંભળવી ગમતી હોય, મોઢેથી મધુર શબ્દ નીકળતા હોય, સૌ પર વહાલ વરસાવાઈ જતું હોય, બેધ્યાન થઈ જવાતું હોય, એ બધા પ્રેમમાં અનુરાગી બની ગયાના લક્ષણ છે.]


  127. मुर्खा यत्र न पूज्यते धान्यं यत्र सुसंचितम्।
    दंपत्यो कलह: नास्ति तत्र श्री: स्वयमागत:॥


  128. [જ્યાં મૂર્ખાઓને માન-પાન મળતું નથી, અનાજ અને ખાદ્યપદાર્થ સારી રીતે સાચવીને રાખવામાં આવે છે અને પતિ-પત્ની કંકાસથી દૂર રહે છે ત્યાં સમૃદ્ધિ સામેથી ચાલીને આવે છે.]


  129. मूर्खस्य पंच चिह्नानि गर्वो दुर्वचनं तथा।
    क्रोधश्च दॄधवादश्च परवाक्येष्वनादर:॥


  130. [મૂર્ખ માણસના પાંચ લક્ષણ છે. અભિમાન, અભદ્ર શબ્દોનો ઉપયોગ, ક્રોધ, હું જ સાચો છું એવો દ્રઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો.]


  131. मूलोनास्ति कुतोः शाखा‌।


  132. [જે ઝાડને મૂળ જ ન હોય તેને ડાળી ક્યાંથી ફૂટે ?]


  133. मृगा मृगैः संगमुपव्रजन्ति गावश्च गोभिस्तुरगास्तुरंगैः।
    मूर्खाश्च मूर्खैः सुधयः सुधीभिः समानशीलव्यसनेषु सख्यं॥


  134. [હરણ હરણાંની પાછળ દોડે છે, ગાય ગાયની સાથે જાય છે, ઘોડાને ઘોડા ગમે છે. મૂર્ખને મૂર્ખ તથા બુદ્ધિમાનને બુદ્ધિમાન પસંદ પડે છે. જેમની આદત સરખી હોય તેમની વચ્ચે મૈત્રી સર્જાય છે.]


  135. यत्र नार्य: तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
    यत्र एता: तु न पूज्यन्ते सर्वास्तत्र अफला: क्रिया:॥


  136. [મનુસ્મૃતિનું આ કથન છે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું માન-સન્માન જળવાતું હોય ત્યાં દેવતા રાજીના રેડ થઈ રહે છે પણ જ્યાં આમ ન થાય ત્યાં કરેલા બધાં ધાર્મિક ક્રિયાકાંડ નિષ્ફળ જાય છે.]


  137. यथा खरः चन्दनभारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य।
    एवं हि शास्त्राणि बहून्यधीत्य अर्थेषु मूढाः खरवद्वहन्ति॥


  138. [ચંદન ઉપાડી લઈ જતો ગધેડો માત્ર બોજ ઉપાડી લઈ જતો હોય છે, ચંદન નહિ કેમકે ચંદન શું છે તેની તેને ખબર જ હોતી નથી તેમ ગોખણપટ્ટી કરી સમજ્યા વિના શાસ્ત્ર ભણી ગયેલા લોકો ગધેડાની માફક માત્ર જ્ઞાનનો બોજ ઉપાડી ફર્યા કરે છે.]


  139. यथा देशस्तथा भाषा यथा राजा तथा प्रजा।
    यथा भूमिस्तथा तोयं यथा बीजस्तथांकुरः॥


  140. [જેવો દેશ તેવી ભાષા, જેવો રાજા તેવી પ્રજા. જેવી ભૂમિ તેવું પાણી અને જેવું બીજ તેવો અંકુર.]


  141. यथा बीजं विना क्षेत्रम् उप्तं भवति निष्फलम्।
    तथा पुरुष कारेण विना दैवं न सिध्यति॥


  142. [જેમ ખેતરને સારી રીતે ખેડ્યા વિના બીજ વાવી દઈએ તો તે ઊગતું નથી તેમ આપણા નસીબમાં લખેલી ચીજ પણ મહેનત કર્યા વિના મળતી નથી.]


  143. यथा मधु समादत्ते रक्षन् पुष्पाणि षट्पदः।
    तद्वदर्थान् मनुष्येभ्यः आदद्यात् अविहिंसया॥


  144. [જેમ ભ્રમર પુષ્પોની પૂરતી સંભાળ રાખીને હળવેથી તેની પાસેથી મધ ખેંચે છે તેમ પ્રજા પાસેથી તેને ત્રાસ આપ્યા વિના કરવેરા વડે ધન એકઠું કરવું જોઈએ.]


  145. यथा शिखा मयूराणां नागानां मणयो यथा।
    तद् वेदांगशास्त्राणां गणितं मूर्ध्नि वर्तते॥


  146. [જેમ મોરના માથે કલગી શોભે છે અને અને નાગના મસ્તક પર મણિ ઝગમગે છે તેમ વેદાંગશાસ્ત્રમાં ગણિત ટોચના સ્થાને બિરાજે છે.]


  147. यथा हि एकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
    एवं पुरूषकारेण विना दैवं न सिध्यति॥


  148. [પ્રારબ્ધ અને પુરુષાર્થરૂપી બન્ને ચક્ર સાથે ચાલે તો જ સંસારનો રથ આગળ ચાલે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પંગુ બની જાય. એક પૈડાવાળો રથ દોડી ન શકે.]


  149. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः।
    अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
    परित्राणाय साधूनां विनाशाय च दुश्कृताम्।
    धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥


  150. [જ્યારે જ્યારે ધર્મની જ્યોત ઝાંખી પડશે ત્યારે ધર્મના ઉદ્ધાર માટે હું મારું સર્જન કરીશ. સજ્જનોના રક્ષણ માટે અને ખોટા કાર્યો કરનારાના નાશ માટે તથા ધર્મને ફરી સ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરીશ.]


  151. यस्तु सञ्चरते देशान् सेवते यस्तु पण्डितान्।
    तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि॥


  152. [જે માણસ દેશવિદેશનું પર્યટન કરે છે, જ્ઞાની-પંડિતો પાસે જઈ તેની વાત સાંભળે છે તેની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાંની માફક વિસ્તાર પામે છે.]


  153. यस्तु सर्वाणि भूतान्यात्मनेवानुपश्यति।
    सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥
    यस्य सर्वाणिभूतान्यात्मैवाभद्विजानत:।
    तत्र को मोह: क: शोक: एकत्व मनुपश्यत: ॥


  154. [ઈશાવાસ્ય ઉપનિષદનું બ્રહ્મજ્ઞાનઃ જે એવું વિચારી શકે કે આ જગતના સર્વ જીવમાં હુ છું અને મારામાં સર્વ જીવ સમાયેલા છે તે અભય પ્રાપ્ત કરે છે. જેમના માટે જગતના સર્વે જીવ પોતાના આત્મા જેવા છે એવા એકત્વદર્શીને મોહ કે શોક સ્પર્શી શકતા નથી.]


  155. यस्मिन् देशे न सम्मानो न प्रीतिर्न च बान्धवाः।
    न च विद्याऽऽगमः कश्चित् तं देशं परिवर्जयेत्॥


  156. [જે દેશમાં આપણું માન ન જળવાતું હોય, આપણા માટે કોઈને લાગણી ન હોય, કોઈ સગા-સંબંધી હોય અને ન તો કંઈ શીખવા-જાણવા મળતું હોય તે દેશને વહેલી તકે છોડી દેવો જોઈએ.]


  157. यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम्।
    लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति॥


  158. [જે માણસ પાસે પોતાની બુદ્ધિ ન હોય તેને શાસ્ત્રનું જ્ઞાન શું કામ આવે ? જે માણસ પાસે જોવા માટે આંખ ન હોય તેને આરીસો શું કામનો ?]


  159. यस्यास्ति वित्तं स वरः कुलीनः
    स पण्डितः स श्रुतवान् गुणज्ञः।
    स एव वक्ता स च दर्शनीयः
    सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते॥


  160. [જે મુરતિયા પાસે ધન હોય તે આપમેળે સારા કુળનો, જ્ઞાની, સુશિક્ષિત અને ગુણોનો જાણકાર બની જાય છે. તે જ સારો વક્તા અને દર્શનલાયક ગણાય છે. બધા ગુણ સુવર્ણમાં આવી સમાઈ જાય છે.]


  161. यः पठति लिखति पश्यति परिपृच्छति पण्डितान् उपाश्रयति।
    तस्य दिवाकरकिरणैः नलिनीदलमिव विस्तारिता बुद्धिः॥


  162. [જે માણસ વાંચે છે, લખે છે, બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જાણકારી મેળવવા પૂછ પૂછ કરે છે અને પંડિતો એટલે નિષ્ણાતો પાસેથી શીખે છે તેમની સમજણ શક્તિ સૂરજનું કિરણ પડતાં જેમ કમળ ખીલી ઊઠે તેમ વિસ્તૃત બને છે.]


  163. यावच्चंद्रदिवाकरौ।


  164. [જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી.]


  165. यावत् जीवेत् सुखेन जीवेत् ऋणं कृत्वा धृतं पिबेत् ।
    भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥


  166. [નાસ્તિકતાવાદી ચાર્વાક ઋષિનું વિખ્યાત સૂત્રઃ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ એટલે કે થાય તેટલી મજા માણી લો. આ દેહને જ્યારે બાળી નાખવામાં આવે ત્યારે એ પાછો ક્યાંથી આવવાનો છે ? ]


  167. ये च मूढतमा: लोके ये च बुद्धे: परं गता:।
    ते एव सुखम् एधन्ते मध्यम: क्लिश्यते जन:॥


  168. [મહાભારતનું કથન છે. આ જગતમાં બે જ પ્રકારનો લોકો સુખી છે. એક તો જે ખરેખર બુદ્ધિમાન છે, જેમની પાસે સાચું જ્ઞાન છે, સાચી સમજ છે. બીજા એવા લોકો કે જેઓ તદ્દન અબુધ છે, જેમની પાસે તલભાર અક્કલ કે સમજ નથી. દુનિયાના બધા દુઃખનો ભાર આ બે વર્ગની વચ્ચે રહેલા લોકોએ ઉપાડવો રહે છે.]


  169. येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः।
    ते मर्त्यलोके भुविभारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति॥


  170. [ જે માણસ પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, સદાચાર નથી, ગુણ નથી, ધર્મ નથી એનું આ જગતમાં કામ શું છે ? આવા માણસો ધરતી માટે ભારરૂપ છે. ખરી રીતે જોતાં આ લોકો માણસનું રૂપ લઈ હરતા ફરતા પશુ છે.]


  171. यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते।
    ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च॥


  172. [ભગવદ્ ગીતાનો ઉપદેશઃ જે લોકો શાશ્વત સુખને છોડી ક્ષણિક સુખની પાછળ દોડે છે તેમના શાશ્વત સુખ નષ્ટ થાય છે અને ક્ષણિક સુખ તો નષ્ટ થવાના જ છે.]


  173. योगः कर्मसु कौशलम्।


  174. [ભગવદ્ ગીતાનું કથનઃ જે કાર્ય કરતા હોઈએ તે કુશળતાપૂર્વક કરવું તે યોગ છે.]


  175. यौवनं धनसंपत्तिः प्रभुत्त्वमविवेकिता।
    एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम्॥


  176. [જોબન સંપત ઠાકરી વળી ઉમેરણમાં અવિવેકી જાત
    એકેકું અનરથ કરે ત્યાં ચારની પહોંચે ક્યાં જઈ વાત !]


  177. रम्याणि वीक्ष्य मधुरांश् च निशम्य शब्दान्
    पर्युत्सुकी भवति यत् सुखेतेऽपि जन्तुः।
    तच् चेतसा स्मरति नूनम् अबोधपूर्वं
    भाव स्थिराणि जननान्तर सौहृदानि॥


  178. 
    (અભિજ્ઞાન શાકુંતલમ્ અંક - પાંચમો)
    
    [નિહાળી કશું રમણીય ને
    સૂણી કો  નિશબ્દ મીઠું ગાન
    કદી અલિપ્તજનને હૈયે પણ
    જાગે કુતુહલનું તોફાન
    સ્મૃતિઓ ઊભરે અદીઠ અજાણી
    મનને કંઈ નવ સમજાય
    તાણવાણા કો પૂર્વ જનમના જાણે
    વણાય ને વિખરાય]
    
  179. रम्यान्तरः कमलिनीहरितैः सरोभिश्छायाद्रुमैर्नियमितार्कमयूखतापः।
    भूयात्कुशेशयरजोमृदुरेणुरस्याः
    शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥


  180. 
    (અભિજ્ઞાન શાકુંતલમ્ - અંક ચોથો)
    
    [માર્ગ બને રમણીય તારો  ખીલ્યા હરિત કમળ ભરેલો
    તાપ ન પહોંચે તારા સુધી રહેજો સૂર્ય વન ટોચ સૂતેલો
    તારા  હળવા પદરવથી  ન  ઊડજો રજ જરી યે  કાળી 
    પગ  નીચે  પથરાઈ  રહેજો  વનની  અખંડ  હરિયાળી
    વહેજો પવન શાંત મજાનો  હો રસ્તો સુખ શાંતિ ભરેલો]
    

  181. राजा राष्ट्रकृतं पापं राज्ञः पापं पुरोहितः।
    भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस् तथा॥


  182. [ જો એક દેશ કે રાષ્ટ્ર ખોટું કામ કરે તો તેનો રાજા ખરો ગુનેગાર ગણાય. જો રાજા ખોટું કામ કરે તો તેના સલાહકાર કે મંત્રીઓ ખરા ગુનેગાર છે. સ્ત્રી ખોટું કામ કરે તો તેનો પતિ સાચો અપરાધી છે અને જો શિષ્ય પાપ કરે તો તે પાપ માટેની બધી જવાબદારી તેના ગુરુની છે.]


  183. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं
    भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः।
    इत्थं विचिन्तयति कोषगते द्विरेफे
    हा हन्त हन्त नलिनीं गज उज्जहार॥


  184. [સાંજ પડ્યે કમળનું પુષ્પ બીડાઈ જતાં રસનો લોભી ભમરો અંદર કેદ થઈ જાય છે અને વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સુંદર સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળ હસતું હસતું ખીલશે. પણ અરેરે, ત્યાં હાથી આવીને કમળને ઉખાડી ફેંકી દે છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આપણાં સપનાઓ અને વાસ્તવિકતા તદ્દન જુદા હોય એવું પણ બને છે.]


  185. लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन्
    पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः।
    कदाचिदपि पर्यटन् शशविषाणमासादयेत्
    न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्॥


  186. [ખૂબ મહેનત કરીએ તો કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય, શક્ય છે કે તરસ્યો મુસાફર મૃગજળનું પાણી પી શકે, કદાચ ફરતાં ફરતાં કોઈ સસલાને માથે શિંગડાં ઊગેલા જોવા મળે પરંતુ ગમે તે કરવા છતાં મૂરખ માણસને ખુશ ન કરી શકાય.]


  187. लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्।
    प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत्॥


  188. [સંતાન પ્રથમ પાંચ વર્ષ સુધી લાડકોડનું અધિકારી ગણાય. તેને તેની ભૂલની કોઈ સજા ન હોય. પછીના દશ વર્ષ સુધી તેને નિયમપાલનનું મહત્વ સમજાવવું રહે છે અને તેનું ખોટું વર્તન સજાપાત્ર બને છે. પણ સંતાન જ્યારે સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્રનો દરજ્જો આપવો જોઈએ.]


  189. लोभाविष्टो नरो वित्तम् वीक्ष्यते न तु संकटम्।
    दुग्धं पश्यति मार्जारी न तथा लगुडाहतिम्॥


  190. [લાલચમાં લપટાઈ ગયેલા માણસને પૈસા દેખાય છે પણ સંકટ દેખાતું નથી. બિલાડીને દૂધ દેખાય છે પણ હાથમાં રહેલી લાકડી દેખાતી નથી.]


  191. वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि।
    लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति॥


  192. [વજ્રથી વધુ કઠોર અને પુષ્પથી પણ વધુ કોમળ એવા મહાપુરુષોના મનમાં શું હોય તે કોણ સમજી શકે ?]


  193. वनानि दहतो वह्ने सखा भवति मारुतः।
    स एव दीपनाशाय कृशे कस्यस्ति सुहृदम्॥


  194. [પવન વનમાં જોરદાર સળગતા અગ્નિનો મિત્ર બને છે. તેને ટેકો આપે છે, મદદ કરે છે. તે જ પવન નાના સળગતા દીવડાને બૂઝાવી નાખે છે. નબળાનું મિત્ર કોણ બને ?]


  195. वनेऽपि सिंहा मॄगमांसभक्षिणो बुभुक्षिता नैव तॄणं चरन्ति।
    एवं कुलीना व्यसनाभिभूता न नीचकर्माणि समाचरन्ति


  196. [સિંહને ગમે તેટલી ભૂખ લાગે પણ તે ઘાસ ખાતો નથી. વનમાં રહીને માત્ર હરણનો આહાર કરે છે. સુસંસ્કારી માણસો સંકટકાળમાં પણ પોતાને શોભે નહિ તેવું કામ ન કરે.]


  197. वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः
    सम इह परितोषो निर्विशेषो विषेशः।
    स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला
    मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः॥


  198. [સંન્યાસી રાજાને કહે છેઃ અમે વલ્કલ પહેરીને સંતુષ્ટ છીએ. તું કિંમતી વસ્ત્રો ધારણ કરીને. અમારો સંતોષ તારા જેટલો જ છે. મનની ઇચ્છાઓની વણઝાર જ માણસને ગરીબ બનાવે છે. જેનું મન સંતોષી હોય તેને માટે ગરીબાઈ કે શ્રીમંતાઈ એવા શબ્દોનો કોઈ અર્થ નથી.]


  199. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये।
    जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥


  200. [‘રઘુવંશ‌’નો પ્રથમ શ્લોક. આખું થોથું લખી શકાય તેટલી વાત મહાકવિ કાલિદાસે બે પંક્તિમાં કહી છે. વાણી અને તેના અર્થની જેમ એક બીજાથી અલગ છતાં વાણી અને તેના અર્થની માફક એક બીજામાં ઓતપ્રોત થઈ ગયેલા, હે જગતના પિતૃ પાર્વતી-પરમેશ્વર, તમને વંદન હો. વાણી અને તેના અર્થનું ભિન્ન-અભિન્નપણું સમજાવતો આવો શ્લોક કાલિદાસ જ લખી શકે.]


  201. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
    तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥


  202. [શ્રીમદ્ ભગવત ગીતાનો સૌથી વધુ સચોટ દાખલો આપતો શ્લોક. જેમ માણસો જૂના થઈ ગયેલા કપડા છોડી દઈ નવા કપડાં પહેરે છે તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવો દેહ ધારણ કરે છે.]


  203. विकॄतिं नैव गच्छन्ति संगदोषेण साधव:।
    आवेष्टितं महासर्पैश्चंदनं न विषायते॥


  204. [જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.]


  205. विजेतव्या लङ्का चरणतरणीया जलनिधिः
    विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः।
    तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुमम्
    क्रियासिद्धिः सत्वे भवति महतां नोपकरणे॥


  206. [લંકા પર વિજય મેળવવાનો હતો, પગેથી ચાલીને દરિયો પાર કરવાનો હતો, પુલસ્ત્ય ઋષિના પુત્ર રાવણ સાથે લડવાનું હતું, મદદમાં માત્ર વાનરસેના હતી. આમ છતાં એકલા રામ સમગ્ર રાક્ષસકુળનો નાશ કરી શક્યા. કામની સફળતા બહારના સાધનો પર નહિ પણ આપણી અંદરની તાકાત પર આધાર રાખે છે.]


  207. विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मति:।
    परलोके धनं धर्म: शीलं सर्वत्र वै धनम्॥


  208. [પરદેશમાં આપણું ખરું ધન વિદ્યા બને છે. સંકટકાળમાં સુબુદ્ધિ આપણું ધન બને છે. પરલોકમાં ધર્મ આપણી સંપત્તિ બને છે. સદાચાર સર્વત્ર સંપત્તિરૂપ પુરવાર થાય છે.]


  209. विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
    विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः॥
    विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता
    विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥


  210. [વિદ્યા માણસની સૌથી મોટી સુંદરતા છે. વિદ્યા ખૂબ સલામત એવું અપ્રગટ ધન છે. વિદ્યા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખ લઈ આવે છે. વિદ્યા ગુરુની ગુરુ છે. પરદેશમાં વિદ્યા સગા ભાઈની જેમ મદદ કરે છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ ધનની નહિ વિદ્યાની પૂજા કરે છે. વિદ્યા વિનાનો માણસ સાક્ષાત પશુ સમાન છે.]


  211. विद्या विवादाय धनं मदाय खलस्य शक्तिः परपीडनाय।
    साधोस्तु सर्वं विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय॥


  212. [દુર્જન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન કરવા માટે અને શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવા માટે કરે છે. સજ્જનોનું તેથી ઊલટું વર્તન હોય છે. તેઓ વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ કરવા માટે ઉપયોગમા લે છે.]


  213. विद्वत्वं च नॄपत्वं च नैव तुल्यं कदाचन।
    स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते॥


  214. [વિદ્વતાની અને રાજવીપણાંની સરખામણી ન થઈ શકે. રાજા માત્ર તેના રાજમાં પૂજાય પણ વિદ્વાન માણસ તો જ્યાં જાય ત્યાં પૂજાય.]


  215. विषादप्यमॄतं ग्राह्मं बालादपि सुभाषितम्।
    अमित्रादपि सद्वॄत्तं अमेध्यादपि कांचनम्॥


  216. [ઝેરમાંથી અમૃત મળતું હોય તે લઈ લેવું જોઈએ, એક નાના બાળક પાસેથી પણ જો કોઈ બોધવાક્ય સાંભળવા મળે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ, દુશ્મન પાસેથી પણ સદ્‌ગુણ ગ્રહણ કરવા મળે તો ગ્રહણ કરી લેવા જોઈએ. સોનું કચરાની વચ્ચે પડ્યું હોય તો પણ તેને તરછોડાય નહિ.]


  217. वीरभोग्या वसुन्धरा।


  218. [જમીનનો ભોગવટો બહાદૂર માણસ જ કરી શકે.]


  219. वृथा वॄष्टि: समुद्रेषु वृथा तृप्तेषु भोजनम्।
    वृथा दानं धनाढ्येषु वृथा दीपो दिवाऽपि च॥


  220. [દરિયામાં વરસાદ પડે તે નકામો જાય. જેનું પેટ ભરેલું છે તેને ખવડાવવાનો કોઈ અર્થ નથી. જેની પાસે ધનના ઢગલા હોય તેને દાન આપવાથી શું વળે ? જ્યાં ખૂબ અજવાળું હોય ત્યાં દીવા ન સળગાવાય.]


  221. वॄच्शिकस्य विषं पॄच्छे मक्षिकाया: मुखे विषम्।
    तक्षकस्य विषं दन्ते सर्वांगे दुर्जनस्य तत्॥


  222. [વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. માખીના મોઢામાં ઝેર હોય છે, સાપના દાંતમાં ઝેર હોય છે પણ દુર્જનના દરેકેદરેક અંગમાં ઝેર ભરેલું હોય છે.]


  223. वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर।
    यमस्तु हरति प्राणान् वैद्यो प्राणान् धनानि च॥


  224. [ચેતવણીઃ નબળું હ્રદય ધરાવતા દાક્તરોએ આ જોખમી પ્રાચીન સુભાષિત વાંચવું નહિ ! હે વૈદરાજ, તને પગે લાગીએ છીએ. તું આમ તો જમરાજાનો ભાઈ છો પણ જમરાજા કરતાં ક્યાંય ચડી જાય તેવો છે. જમરાજા તો માત્ર પ્રાણ લઈને ચાલતા થાય છે પણ તું તો અમારો પ્રાણ અને પૈસા બન્ને લીધા પછી જ અમને છોડે છે !]


  225. वाक्यं रसात्मकं काव्यम्।


  226. [કવિતાની સૌથી ટૂંકી ને સૌથી અસરકારક વ્યાખ્યા. રસથી સભર વાક્ય એટલે કાવ્ય.]


  227. व्यापारे वसते लक्ष्मी।


  228. [ચીજવસ્તુની આપ-લે વડે સમૃદ્ધિ સર્જાય છે.]


  229. व्यासोच्छिष्टं जगत् सर्वं।


  230. [જગત આખું વ્યાસના મોંમાંથી બહાર આવ્યું છે. મહાભારત મહાકાવ્ય રચનાર વ્યાસ મુનિની પ્રશંસા માટે આ વાક્ય કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો છે કે તત્વજ્ઞાન અને માનવ સંબંધનો એકેય વિષય એવો નથી કે જેની મહાભારતમાં ચર્ચા છણાવટ ન થઈ હોય. આથી હવે જગતમાં કદી ન ઉપસ્થિત કરવામાં આવી હોય તેવી એક પણ વાત રહી નથી.]


  231. शठे शाठ्यं समाचरेत्।


  232. [બીજાને છેતરનારાને છેતરવો એ જ સાચો ઉપાય છે.]


  233. शतेषु जायते शूर: सहस्त्रेषु च पंडित:।
    वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा॥


  234. [દર સો માણસે એકાદ શૂરવીર મળી આવે. એક હજાર માણસે એકાદ જાણકાર પંડિત મળે. દશ હજાર માણસોમાંથી એકાદ સારો વક્તા પાકે. પણ દાતા તો ગમે તેટલું શોધો, જવલ્લે જ મળે.]


  235. शान्तितुल्यं तपो नास्ति तोषान्न परमं सुखम्।
    नास्ति तॄष्णापरो व्याधिर्न च धर्मो दयापर॥


  236. [શાંતિ સમાન કોઈ તપ નથી. સંતોષ સમાન કોઈ સુખ નથી. તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી.]


  237. शिर: शार्वं स्वर्गात्पततिशिरसस्तत् क्षितिधरं
    महीधादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम्।
    अधोऽधो गङ्गेयं पदमुपगता स्तोकमथवा
    विवेकभ्रष्टानां भवति विनिपात: शतमुख:॥


  238. [સ્વર્ગમાંથી ઉતરેલી પવિત્ર ગંગા શંકર ભગવાનની જટા પર પડે છે. ત્યાંથી હિમાલયના પહાડો પર અને પછી પડતી પડતી સપાટ મેદાનોમાં જઈ છેવટે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આમ ગંગા નદી એક વખત નીચે પડ્યા પછી વધુ ને વધુ નીચે પડતી જાય છે. એવું જ માણસોનું છે. એક વખત સાનભાન ચૂકો પછી તમારું સેંકડો રીતે અધપતન થાય છે.]


  239. शुचिर्दक्षोऽनुरक्तश्र्च भृत्यः खलु सुदुर्लभः।


  240. [સ્વચ્છતા જાળવવામાં કુશળ હોય અને સાથે સાથે માલિકની પ્રેમથી સેવા કરે તેવા નોકર નસીબ હોય તો જ મળે.]


  241. शुभस्य शीघ्रं।


  242. [સારા કામમાં કોઈની રાહ ન જોવાય.]


  243. शुभास्ते पन्थानः संतु।


  244. [તારો પંથ શુભ બનો.]


  245. शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे।
    साधवो न हि सर्वत्र चन्दनं न वने वने॥


  246. [દરેક પર્વત પર માણેક ન હોય. દરેક હાથીના કપાળમાં મોતી ન હોય. બધે જ સારા માણસ ન હોય, દરેક જંગલમાં ચંદનના ઝાડ ન હોય. હિતોપદેશનો આ શ્લોક કેટલો સરળ છે !]


  247. संग्रहैकपर: प्राय: समुद्रोपि रसातले।
    दातारं जलदं पश्य गर्जन्तं भुवनोपरी॥


  248. [દરિયાને માત્ર પાણી ભેગું કરતા આવડે છે બીજાને આપતા આવડતું નથી એટલે તેનું સ્થાન રસાતાળ ગયું છે. જુઓ પાણીનું દાન કરતાં વાદળા ભુવનમાં સર્વોપરી સ્થાને બેસીને કેવી ગર્જના કરે છે !]


  249. सत्यं ब्रूयात् प्रियं ब्रूयत् न ब्रूयात् सत्यमप्रियं।
    प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः॥


  250. [સત્ય બોલવું જોઈએ. પ્રિય બોલવું જોઈએ. અપ્રિય હોય તેવું સત્ય બોલવાનું ટાળવું જોઈએ અને અસત્ય પ્રિય લાગે તેવું હોય છતાં કદી ન બોલવું એ સનાતન નિયમ છે.]


  251. सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः।
    आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातंतुम् मा व्यवच्छेत्सीः ॥


  252. [તૈત્તરીય ઉપનિષદમાં નવા વિદ્યાર્થીને ઉપદેશઃ સાચું બોલજે, ધર્મ પ્રમાણે આચરણ કરજે. પોતાના અભ્યાસમાં તલ્લીન રહેજે. ગુરુને દક્ષિણા આપજે અને આ પરંપરાનો લોપ ન થાય તેનું ધ્યાન રાખજે.]


  253. सत्यमेव जयते नानृतम्।


  254. [વિજય સત્યનો થાય છે, જુઠનો નહિ. આપણા દેશનો આ મુદ્રાલેખ છે.]


  255. सत्यस्य वचनं श्रेय: सत्यादपि हितंवदेत्।
    यद्भूतहितमत्यन्तं एतत् सत्यं मतं मम॥


  256. [નારદ મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. મારા મતે જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે.]


  257. सदा वक्रः सदा क्रूरः सदापूजामपेक्षते।
    कन्याराशिस्थितो नित्यं जामाता दशमोग्रहः॥


  258. [જમાઈ નામનો દશમો ગ્રહ કાયમ માટે કન્યા રાશિમાં રહે છે, સદા વાંકો ચાલે છે, કાયમ ક્રૂર સ્વભાવ ધરાવે છે અને હંમેશા પોતાની પૂજા થવી જોઈએ એવી ઇચ્છા ધરાવે છે !]


  259. सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च।
    यस्मिन्न् एव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम्॥


  260. [મનુસ્મૃતિનું માર્ગદર્શનઃ જે ઘરમાં પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ હોય અને પત્ની પોતાની પતિથી તે ઘરમાં હંમેશા સુખનું સામ્રાજ્ય રહે છે.]


  261. सम्पूर्णकुम्भो न करोति शब्दं अर्धो घटो घोषमुपैति नूनं।
    विद्वान्‌ कुलीनो न करोति गर्वं मूढास्तु जल्पन्ति गुणैर्विहीनाः॥


  262. [પાણીથી પૂરો ભરેલો ઘડો અવાજ કરતો નથી. અર્ધો ભરેલા ઘડામાંથી ઘણો અવાજ આવે છે. વિદ્વાન અને કુલીન માણસો ગર્વ કરતા નથી. ગુણ વિનાના માણસો બડબડ કરતા રહે છે.]


  263. सर्प: क्रूर: खल: क्रूर: सर्पात् क्रूरतर: खल:।
    सर्प: शाम्यति मन्त्रैश्च दुर्जन: केन शाम्यति॥


  264. [સર્પ ક્રૂર છે, દુર્જન પણ ક્રૂર છે. પણ સાપ કરતાં દુર્જન વધુ ક્રૂર લેખાય કેમકે સાપને તો મંત્રોથી વશ કરી શકાય છે. દુર્જનને કોઈ રીતે અંકુશમાં લાવી શકાય નહિ.]


  265. सर्पदुर्जनयोर्मध्ये वरं सर्पो न दुर्जनः।
    सर्पो दशति कालेन दुर्जनस्तु पदे पदे॥


  266. [સાપ અને દુર્જન એ બન્નેની તુલના કરીએ તો દુર્જન કરતાં સાપ વધુ સારો ગણાય કેમકે સાપ તો કોઈક વખત કરડે છે પણ દુર્જન ડગલે ને પગલે ડંખ મારતો જ રહે છે.]


  267. सर्वनाशे समुत्पन्ने ह्मर्धं त्यजति पण्डित:।
    अर्धेन कुरुते कार्यं सर्वनाशो हि दु:सह:॥


  268. [જ્યારે સર્વનાશ સામે આવે ત્યારે ડાહ્યો માણસ અડધું છોડી દે છે કેમકે અડધાથી જેમ તેમ કામ ચલાવી લેવાય પણ સર્વનાશ સહન કરવો બહુ ભારે પડે.]


  269. स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा।
    सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम्॥


  270. [સલાહ કે ઉપદેશથી કોઈનો સ્વભાવ બદલાવી શકાતો નથી. પાણીને ગરમ કરો તેટલી વખત ગરમ રહે પણ જેવો તાપ દૂર થાય કે પાછું હતુ તેવું ને તેવું થઈ જાય.]


  271. सामदाने भेददण्डावित्युपायचतुष्टयम्।
    हस्त्यश्व रथ पादातिं सेनाङ्गंस्यात् चतुष्टयम्॥


  272. [રાજા પાસે શાસન ચલાવવા માટે સામ, દામ, ભેદ, દંડ એમ ચાર ઉપાય હોવા જોઈએ અને હાથી, ઘોડા, રથ, અને પાયદળ એમ ચાર પ્રકારની શક્તિ ધરાવતું સૈન્ય હોવું જોઈએ.]


  273. सामर्थ्य्मूलं स्वातन्त्र्यं श्रममूलं च वैभवम्।
    न्यायमूलं सुराज्यं स्यात् संघमूलं महाबलम्॥


  274. [સામર્થ્ય એ સ્વતંત્રતાના મૂળમાં છે. તમારી પાસે તમારી પોતાની તાકાત ન હોય તો તમે સ્વતંત્ર ન રહી શકો. શ્રમ એ સમૃદ્ધિનું મૂળ છે. મહેનત કર્યા વિના ન સમૃદ્ધિ મળે ન ટકે. સુરાજ્યના મૂળમાં ન્યાય છે. ન્યાય વિના સુરાજ્ય ટકી ન શકે. મહાશક્તિના મૂળમાં સંપ અને સંગઠન છે. જ્યાં સંઘ હોય એટલે કે સંપ-સંગઠન હોય ત્યાં જ પ્રચંડ શક્તિ ઉદ્‌ભવે.]


  275. साहसे श्रीः प्रतिवसति।


  276. [જે સાહસ કરે તેને લક્ષ્મી મળે.]


  277. साहित्यसङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः।
    तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम्॥


  278. [ભર્તુહરિ કૃત નીતિશતકના આ લોકપ્રિય શ્લોક અનુસાર જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ છે. પશુઓનું એ સદ્‌ભાગ્ય છે કે આવા લોકો ઘાસ ખાધા વિના જીવી શકે છે !]


  279. साक्षराः विपरीताश्चेत् राक्षसाः एव केवलम्।
    सरसो विपरीतश्चेत् सरसत्वं न मुञ्चति॥


  280. [‘સાક્ષરા’ શબ્દને ઊલટો કરીએ તો તે ‘રાક્ષસા’ બની જાય છે. ‘સરસ’ શબ્દને ઊલટાવીએ તો પણ તે ‘સરસ’ જ રહે. તે કદી પોતાનું સરસપણું ન છોડે.]


  281. सुखं हि दुःखान्यनुभूय शोभते घनान्धकारेष्विव दीपदर्शनम्।
    सुखात्तु यो याति नरो दरिद्रतां धृतः शरीरेण मृतः स जीवति॥


  282. [ગાઢ અંધકારની અંદર જેમ દીપક શોભે છે તેમ સુખ પણ દુઃખની અનુભૂતિથી વધુ સુંદર લાગે છે. પણ જે લોકો સુખમાંથી ગરીબાઈના નર્કમાં આવી ચડે છે તે ભલે શરીરથી જીવતા રહે પણ મૃતપ્રાયઃ બની જાય છે.]


  283. सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
    ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि॥


  284. [ગીતામાં ભગવાનનો ઉપદેશ. સુખ દુઃખને સમાન ગણીને, લાભ હાનિ તથા જય પરાજયમાં અવિચલિત રહીને કર્તવ્યના પાલન તરીકે યુદ્ધ કરવામાં જોડાઈ જાઓ. આવું કર્તવ્યપાલન તમને પાપી નહિ બનાવે.]


  285. सुखमापतितं सेव्यं दु:खमापतितं तथा।
    चक्रवत् परिवर्तन्ते दु:खानि च सुखानि च॥


  286. [જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે તેને માણી લેવું, દુઃખ આવે ત્યારે તેને પણ વધાવી લેવું. સુખદુખનું ચક્ર સદા ચાલતું જ રહેવાનું છે.]


  287. सुखस्यानन्तरं दुःखम् दुःखस्यानन्तरं सुखम्।
    न नित्यं लभते दुःखं न नित्यं लभते सुखम्॥


  288. [સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. કોઈને રોજેરોજ સુખ ન મળે કે કોઈને રોજેરોજ દુઃખ ન મળે.]


  289. सुखार्थी वा त्यजेत विद्या विद्यार्थी वा त्यजेत सुखम।
    सुखार्थिनः कुतो विद्या विद्यार्थिनः कुतो सुखम॥


  290. [વિદ્યાપ્રાપ્તિ છોડી સુખની પાછળ ભાગવું કે સુખને છોડી વિદ્યાપ્રાપ્તિ પાછળ પાગલ બનવું બન્ને એકાંગી માર્ગ છે. આ રીતે જેને સુખ જોઈતું હોય તેને કદી વિદ્યા ન મળે અને માત્ર વિદ્યા પાછળ દોડનાર કદી સુખી ન બની શકે.]


  291. सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः।
    अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः॥


  292. [વાલ્મિકી રામાયણ અરણ્યકાંડ શ્લોક ૩૭-૨. હે રાજન્ સતત મીઠું મીઠું બોલનારા માણસો સહેલાઈથી મળી આવે છે પણ કડવી છતાં હિતની વાત કરનારા અને સાંભળનારા આ જગતમાં બહુ ઓછા છે.]


  293. सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम्।
    दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्॥


  294. [મહાભારતમાં કર્ણ આ શ્લોક બોલે છે અને કહે છે કે ભલે હું સામાન્ય રથ હાંકનાર હોઉં કે રથ હાંકનારનો પુત્ર હોઉં કે ગમે તે હોઉં. આ બધી વાત ક્ષુલ્લક છે. ક્યા કુળમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત તો મારું સાહસ અને પરાક્રમ છે.]


  295. स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः।
    इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत्॥


  296. [દાંત, વાળ, નખ અને પુરુષ પોતાનું સ્થાન ગુમાવી દે પછી શોભતા નથી એ વાત ધ્યાનમાં રાખી ડાહ્યા માણસોએ પોતાના સ્થાન પર સ્થિર રહેવું જોઈએ.]


  297. स्यात्‌ कज्जलं सिन्धु पात्रं
    सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी।
    लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
    तदापि तव गुणानां ईश पारं न याति॥


  298. [દરિયો ભરીને શાહી લઈ વૃક્ષની ડાળીની કલમ બનાવી ખૂદ શારદા માતા સદાકાળ લખ્યા કરે તો પણ હે ભગવાન તારા ગુણોનો પાર ન આવે.]


  299. श्रुति र्विभिन्ना स्मृतयोऽपि भिन्नाः
    नैको मुनि र्यस्य वचः प्रमाणम्।
    धर्मस्य तत्त्वं निहितं गुहायाम्
    महाजनो येन गतः स पन्थाः॥


  300. [શ્રુતિ અલગ અલગ કહે છે, સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાત છે. કોઈ એક એવા મુનિ નથી કે માત્ર તેના વચનને જ પ્રમાણ માનીને ચાલી શકાય. ધર્મનું તત્વ ગૂઢ છે - સહેલાઈથી સમજી શકાય તેવું નથી. આથી મોટા માણસો જે રસ્તે ચાલે તે રસ્તો સાચો છે એમ માનીને આપણે પણ તે રસ્તે ચાલવું.]


  301. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन।
    विभाति कायः करुणापराणां परोपकारैर्न तु चन्दनेन॥


  302. [કાન કુંડળ વડે નહિ પણ જ્ઞાનની વાત સાભળવાથી શોભે છે. હાથ કંકણ વડે નહિ પણ દાન વડે શોભે છે. કાયા પણ ચંદનના લેપ વડે નહિ પણ કરુણામય પરોપકાર વડે કાંતિમાન બને છે.]


  303. स्वधर्मे निधनम् श्रेयम् परधर्मो भयावहः।


  304. [ભગવત ગીતાના આ ઉપદેશનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવે છે. એ બધી ચર્ચાનો સાર એ છે કે આપણને પોતાને જે ઠીક લાગે, સાચું લાગે તે કરવું અને તેમાં મરણ આવે તો પણ મનને સંતોષ થશે. પણ બીજાના દોરવાયા દોરાતા રહીને પોતાનો અંદરનો અવાજ ન સાંભળવો તે વાત ભયંકર છે. ]


  305. स्वाभिमानो धनंयेषां चिरजीवन्ति ते जना:।
    स्वाभिमानविहीनानां किं धनेन किमायुषा॥


  306. [જેમની પાસે સ્વાભિમાનરૂપી સંપત્તિ છે તે માણસો શાશ્વત જીવે છે. જેમની પાસે સ્વાભિમાન નથી તેમની પાસે ધન કે આયુષ્ય હોય તો પણ શું કામનું ? ]


  307. षट्पदः पुष्पमध्यस्थो यथा सारं समुद्धरेत्।
    तथा सर्वेषु शास्त्रेषु सारं गृह्ण्न्ति पण्डिताः॥


  308. [જેમ ભમરો દરેક પુષ્પ પર જઈ તેનું ઉત્તમ તત્વ એકઠું કરે છે તેમ ડાહ્યા માણસે દરેક શાસ્ત્ર વાંચી તેનો સાર મગજમાં ઉતારવો જોઈએ.]


    હ-ળ

  309. हंस: श्वेतो बक: श्वेतो को भेदो बकहंसयो:।
    नीरक्षीरविवेके तु हंस: हंसो बको बक:॥


  310. [હંસ સફેદ દેખાય છે. બગલો પણ સફેદ દેખાય છે. પરંતુ જ્યારે પાણી અને દૂધ અલગ કરવાની વાત આવે ત્યારે હંસ હંસ જેવો અને બગલો બગલા જેવો સાબિત થઈ જાય છે.]


  311. हीयते हि मतिस्तात् हीनैः सह समागतात्।
    समैस्च समतामेति विशिष्टैश्च विशिष्टितम्॥


  312. [મહાભારતનો શ્લોક છેઃ હીન એટલે કે અધમ માણસો સાથે રહેવાથી આપણી બુદ્ધિ અધમ થઈ જાય છે. સમાન માણસો સાથે રહેવાથી સમાન રહે છે અને વિશિષ્ઠ એટલે કે ખૂબ પ્રતિભાવાન સાથે રહેવાથી આપણી પ્રતિભા પણ ખિલે છે.]


    ક્ષ

  313. क्षणश: कणश्चैव विद्याम् अर्थं च साधयेत्।
    क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम्॥


  314. [પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા મેળવવી જોઈએ અને પ્રત્યેક કણ બચાવી ધન એકઠું કરવું જોઈએ. ક્ષણ વેડફે વિદ્યા ન મળે, કણ વેડફે ધન ન મળે.]


  315. क्षणे तुष्टः क्षणे रुष्टस्तुष्टो रुष्टः क्षणे क्षणे।
    अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयङ्करः॥


  316. [ઘડીક ખુશ તો ઘડીક નાખુશ. એક ઘડી રાજી તો બીજી મિનિટે અગનગોળો. જેમના મગજનું કંઈ ઠેકાણું ન હોય તેમની મહેરબાની પણ ભારે પડી જાય.]


  317. क्षणेक्षणे यद् नवतां उपैति स रूपः।


  318. [કાલિદાસે કરેલી સૌંદર્યની વ્યાખ્યાઃ ખરી સુંદરતા તેને કહેવાય જે હરઘડી નવું રૂપ ધારણ કરે.]


  319. क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा।
    क्षमा वशीकृते लोके क्षमया किं न सिध्यति॥


  320. [ક્ષમા શક્તિશાળી માણસનું સાચું બળ છે. શક્તિશાળી માણસો ક્ષમા વડે શોભે છે. ક્ષમાથી લોકો વશ થઈ જાય છે. ક્ષમાથી શું ન થઈ શકે ?]


  321. क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति।
    अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति॥


  322. [જેમની પાસે ક્ષમા નામનું અમોઘ શસ્ત્ર હોય તેનું કોઈ કંઈ બગાડી શકે નહિ. જે ધરતી તણખલા વિનાની એટલે કે ઉજ્જડ અને વેરાન હોય તેની ઉપર આગનો ગોળો પડે તો તે આપમેળે ઠંડો પડી જાય.]


    જ્ઞ

  323. ज्ञानं तु द्विविधं प्रोक्तं शाब्दिकं प्रथमं स्मृतम्।
    अनुभवाख्यं द्वितीयं तुं ज्ञानं तदुर्लभं नृप॥


  324. [જ્ઞાન બે પ્રકારના હોય છે. એક તો શબ્દો વડે મેળવેલું અને ગોખીને યાદ રાખેલું જ્ઞાન અને બીજું સ્વાનુભવ થવાથી સમજાયેલું જ્ઞાન. હે રાજા, આ બીજા પ્રકારનું જ્ઞાન દુર્લભ છે.]


પ્રથમ વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ

પ્રસાદી વિભાગ પહેલો

[મુખ્યપૃષ્ઠ]     [ટોચ]