[પાછળ]
બહુ પુણ્ય કેરા પુંજથી

(હરિગીત) બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો? ...૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો!! ...૨ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ...૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ...૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું; રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ...૫

-શ્રીમદ્ રાજચંદ્ર ક્લીક કરો અને સાંભળો આશિત દેસાઈના સ્વરમાં તત્વચિંતનનું આ સુંદર કાવ્યઃ
[પાછળ]     [ટોચ]