આવવું ન આશ્રમે
આવવું ન આશ્રમે મળે નહિ સ્વતંત્રતા
જંપવું નથી લગાર જો નહિ સ્વતંત્રતા
સ્નેહ સૌખ્ય સૌ હરામ ના મળે સ્વતંત્રતા
જીવવું મર્યા સમાન ના યદિ સ્વતંત્રતા
પુત્ર દાર
જન્મ મૃત્યુના જુહાર
જંપવું ન જાલીમોય જંપશે ન સૌ ખુવાર
મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન આ લલાટ હાર
આકરા પુકારી કોલ વીરલા રણે ચડ્યા
ખેતરો ખૂંદ્યા અને ભમ્યા અનેક ગામડાં
મહી વટ્યા ઝૂલ્યા સપૂત માત અંક નર્મદા
ઝૂંપડે જઈ વસ્યા પ્રજા અવાજ પામવા
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો
સર્વ સાથ કોઈ ના બધું સમાન એકલો
રાષ્ટ્રદેવ રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા
પગે પડે
સુવર્ણ માટીમાં મઢે
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે
જીવશે ન જીવવા દઈ સપૂત જાલીમો
મારશે ય મુક્તિ મહેલ તો ચણાય રાખનો
(૨૯-૦૪-૧૯૩૦)
-કૃષ્ણલાલ શ્રીધરાણી |